માલાખી 2:1-17 GUBCS1970 - Bible AI

1અને હવે, હે યાજકો, આ આજ્ઞા તમારા માટે છે.

2સૈન્યોના યહોવાહ કહે છે, "જો તમે મારા નામને મહિમા આપવાનું નહિ સાંભળો અને તેને તમારા હૃદયમાં નહિ ઠસાવો, તો હું તમારા પર શાપ મોકલીશ, હું તમારા આશીર્વાદોને શાપરૂપ કરી નાખીશ. ખરેખર, મેં તેમને શાપરૂપ કરી દીધા છે. કેમ કે મારી આજ્ઞા તમે તમારા હૃદયમાં સમાવતા નથી.

3જો, હું તમારા વંશજોને ઠપકો આપીશ, તમારા મુખ પર અને તમારા અર્પણો પર છાણ નાખીશ, તેઓની સાથે તમને પણ બહાર કાઢી મૂકવામાં આવશે.

4ત્યારે તમે જાણશો કે મેં તમારી પાસે આ આજ્ઞા મોકલી છે, કે મારો કરાર લેવી સાથે થાય," એવું સૈન્યોના યહોવાહ કહે છે.

5"તેની સાથેનો મારો કરાર જીવન તથા શાંતિ આપવાનો હતો, તે મારો આદર કરે તે માટે મેં તેને તે આપ્યો. તેઓ મારો આદર કરતા હતા અને મારા નામનો ડર રાખતા હતા.

6સાચું શિક્ષણ તેમના મુખમાં હતું, તેમના હોઠમાંથી કદી અન્યાયીપણું માલૂમ પડતું નહતું. તે મારી સાથે શાંતિ અને પ્રામાણિકપણે ચાલતા હતા, તે ઘણાંને પાપમાંથી પાછા ફેરવતા હતા.

7કેમ કે યાજકના હોઠોમાં ડહાપણ હોવું જોઈએ, લોકોએ તેમના મુખમાંથી નિયમ શોધવો જોઈએ, કેમ કે તે સૈન્યોના યહોવાહનો સંદેશાવાહક છે.

8પણ તમે સાચા માર્ગમાંથી ભટકી ગયા છો. તમે ઘણાં લોકોને નિયમનો આદર કરાવીને ઠોકર ખવડાવી છે. તમે લેવીના કરારને ભ્રષ્ટ કર્યો છે," એવું સૈન્યોના યહોવાહ કહે છે.

9"મેં તમને લોકોની આગળ તિરસ્કારપાત્ર અને અધમ બનાવી દીધા છે, કેમ કે તમે મારા માર્ગોને વળગી રહ્યા નથી, પણ તમારી માહિતી રાખવામાં પક્ષપાત કર્યો છે."

10શું આપણા સર્વના એક જ પિતા નથી? શું એક જ ઈશ્વરે આપણું સર્જન કર્યું નથી? તો શા માટે આપણે આપણા ભાઈઓ સામે વિશ્વાસઘાત કરીને પિતૃઓના કરારનું અપમાન કરીએ?

11યહૂદાએ વિશ્વાસઘાત કર્યો છે, ઇઝરાયલમાં તથા યરુશાલેમમાં ધિક્કારપાત્ર કૃત્ય કરવામાં આવ્યું છે. કેમ કે યહોવાહ જેને પ્રેમ કરતા હતા તે પવિત્રસ્થાનને યહૂદાએ અપવિત્ર કર્યું છે, તેણે વિદેશી દેવની દીકરી સાથે લગ્ન કર્યું છે.

12જે કોઈ વંશજોએ આ પ્રમાણે કર્યું હશે, તેમ જ સૈન્યોના યહોવાહને માટે અર્પણ લાવનારને પણ યહોવાહ યાકૂબના તંબુમાંથી નાબૂદ કરશે.

13તમે પણ આવું કરો છો. તમે તમારાં આંસુઓથી, રુદનથી તથા શોકથી યહોવાહની વેદીને ઢાંકી દો છો, કેમ કે તેઓ તમારાં અર્પણો જોવાને તથા તમારા હાથથી તેનો સ્વીકાર કરવાને સહમત નથી.

14પણ તું કહે છે, "શા માટે તે નહિ?" કેમ કે, યહોવાહ તારી અને તારી જુવાનીની પત્ની વચ્ચે સાક્ષી થયા છે, જોકે તે તારી સાથી અને કરારની રૂએ તારી પત્ની હતી છતાં તું તેને અવિશ્વાસુ રહ્યો છે.

15શું આત્માના અંશ વડે તેણે તમને એક બનાવ્યા નથી? અને શા માટે તેમણે તમને એક બનાવ્યા છે? કેમ કે તેઓ ધાર્મિક સંતાનની આશા રાખતા હતા? માટે તમારા આત્મા વિષે સાવધ રહો, કોઈ પણ પોતાની જુવાનીની પત્નીને અવિશ્વાસુ ન રહે.

16કેમ કે ઇઝરાયલના ઈશ્વર યહોવાહ કહે છે કે, "હું છૂટાછેડાને ધિક્કારું છું, સૈન્યોના યહોવાહ કહે છે "જે પોતાની પત્ની પર જુલમ કરે છે તેને હું ધિક્કારું છું. "માટે તમારા આત્મા વિષે સાવધ રહો અને અવિશ્વાસુ ન બનો."

17તમે તમારા શબ્દોથી યહોવાહને કંટાળો ઉપજાવ્યો છે. પણ તમે કહો છો કે, "કેવી રીતે અમે તેમને કંટાળો ઉપજાવ્યો છે? "દુષ્કર્મ કરનાર દરેક માણસ યહોવાહની નજરમાં સારો છે, તેનાથી તેઓ પ્રસન્ન થાય છે; અથવા ઈશ્વરનો ન્યાય ક્યાં છે?" એવું કહીને તમે તેમને કંટાળો ઉપજાવ્યો છે.

© 2017 Bridge Communications Systems. Released under the Creative Commons Attribution Share-Alike license 4.0.
div>