યોહાન 13:1-38 GUBCS1970 - Bible AI

1હવે પાસ્ખાપર્વ અગાઉ પોતાનો આ દુનિયામાંથી પિતાની પાસે જવાનો સમય આવ્યો છે એ જાણીને ઈસુએ દુનિયામાંનાં પોતાના લોક, જેઓનાં ઉપર તેઓ પ્રેમ રાખતા હતા, તેઓ પર અંત સુધી પ્રેમ રાખ્યો.

2તેઓ જમતા હતા તેવામાં, શેતાને તો અગાઉથી સિમોનના દીકરા યહૂદા ઇશ્કારિયોતના મનમાં તેમને પરસ્વાધીન કરવાનો વિચાર મૂક્યો હતો.

3પિતાએ સઘળી વસ્તુઓ મારા હાથમાં આપી છે, હું ઈશ્વરની પાસેથી આવ્યો છું અને ઈશ્વરની પાસે જાઉં છું, એ જાણીને

4[ઈસુ] ભોજન સ્થળ પરથી ઊભા થયા અને પોતાનાં વસ્ત્રો ઉતાર્યા; પછી તેમણે રૂમાલ લઈને પોતાની કમરે બાંધ્યો.

5ત્યાર બાદ વાસણમાં પાણી લઈને, શિષ્યોના પગ ધોવા તથા જે રૂમાલ પોતાની કમરે બાંધ્યો હતો તેનાથી લૂંછવા લાગ્યા.

6એ પ્રમાણે કરતા કરતા તે સિમોન પિતરની પાસે આવ્યા. ત્યારે સિમોન કહ્યું કે, 'પ્રભુ, શું તમે મારા પગ ધૂઓ છો?'

7ઈસુએ તેને કહ્યું કે, 'હું જે કરું છું, તે તું હમણાં જાણતો નથી; પણ હવે પછી તું સમજશે.'

8પિતર તેમને કહે છે કે, 'હું કદી તમને મારા પગ ધોવા દઈશ નહિ.' ઈસુએ તેને કહ્યું કે, 'જો હું તને ન ધોઉં તો મારી સાથે તારે કંઈ લાગભાગ નથી.'

9સિમોન પિતર તેને કહે છે કે, 'પ્રભુ, એકલા મારા પગ જ નહિ, પણ મારા હાથ તથા મુખ પણ ધૂઓ.'

10ઈસુ તેને કહે છે, 'જેણે સ્નાન કર્યું છે, તેના પગ સિવાય બીજું કંઈ ધોવાની અગત્ય નથી, તે પૂરો શુદ્ધ છે; તમે શુદ્ધ છો, પણ બધા નહિ.

11કેમ કે પોતાને પરસ્વાધીન કરનારને જાણતા હતા; માટે તેમણે કહ્યું કે, 'તમે બધા શુદ્ધ નથી.'

12એ પ્રમાણે તેઓના પગ ધોઈ રહ્યા પછી તેમણે પોતાનાં વસ્ત્રો પહેર્યા અને પાછા જમવા બેસીને તેઓને કહ્યું કે, 'મેં તમને શું કર્યું છે, તે તમે સમજો છો?'

13તમે મને ગુરુ તથા પ્રભુ કહો છો, અને તમે સાચું જ કહો છો, કેમ કે હું એ જ છું.'

14એ માટે મેં પ્રભુએ તથા ગુરુએ જો તમારા પગ ધોયા, તો તમારે પણ એકબીજાના પગ ધોવા જોઈએ.

15કેમ કે જેવું મેં તમને કર્યું, તેવું તમે પણ કરો, એ માટે મેં તમને નમુનો આપ્યો છે.

16હું તમને નિશ્ચે કહું છું કે, 'નોકર પોતાના શેઠ કરતાં મોટો નથી; અને જે મોકલાયેલો છે તે પોતાના મોકલનાર કરતાં મોટો નથી.'

17જો તમે એ બાબતો જાણીને તેઓનું અનુકરણ કરો, તો તમે આશીર્વાદિત છો.

18હું તમારા સઘળાં સંબંધી નથી કહેતો; જેઓને મેં પસંદ કર્યા છે તેઓને હું જાણું છું; એ લખેલું પૂરું થાય માટે એમ થવું જોઈએ 'પણ જે મારી [સાથે] રોટલી ખાય છે, તેણે મારી વિરુદ્ધ પોતાની લાત ઉગામી છે.'

19એ બીના બન્યા પહેલાં હું તમને કહું છું એ માટે કે, 'જયારે એ બાબત થાય, ત્યારે તમે વિશ્વાસ કરો, કે હું તે છું.'

20નિશ્ચે હું તમને કહું છું કે, 'જે કોઈને હું મોકલું છું તેનો અંગીકાર જે કરે છે, તે મારો અંગીકાર કરે છે; અને જે મારો અંગીકાર કરે છે તે મને મોકલનારનો અંગીકાર કરે છે.

21એમ કહ્યાં પછી ઈસુ આત્મામાં વ્યાકુળ થયા; અને ગંભીરતાથી કહ્યું કે, હું તમને નિશ્ચે કહું છું કે, 'તમારામાંનો એક મને પરસ્વાધીન કરશે.

22તે કોને વિષે બોલે છે એ સંબંધી શિષ્યોએ આશ્ચર્યથી એકબીજા તરફ જોયું.

23હવે જમણ સમયે તેમના શિષ્યોમાંનો એક, જેનાં પર ઈસુ પ્રેમ રાખતા હતા, તે ઈસુની છાતીએ અઢેલીને બેઠો હતો.

24સિમોન પિતર તેને ઇશારો કરીને કહે છે કે, 'તેઓ કોનાં વિષે બોલે છે, તે અમને કહે.'

25ત્યારે તે જેમ ઈસુની છાતીએ અઢેલીને બેઠો હતો, તેમ ને તેમ જ તેમને પૂછે છે કે, 'પ્રભુ, તે કોણ છે?'

26ઈસુ કહે છે કે, 'હું કોળિયો બોળીને જેને આપીશ, તે જ તે છે.' પછી તેઓ કોળિયો લઈને તે સિમોન ઇશ્કારિયોતના દીકરા યહૂદાને આપે છે.

27અને કોળિયો લીધા પછી તેનામાં શેતાન આવ્યો, માટે ઈસુ તેને કહે છે કે, 'જે તું કરવાનો છે, તે જલદી કર.'

28હવે તેમણે તેને શા માટે એ કહ્યું એ જમવા બેઠેલાઓમાંથી કોઈ સમજ્યો નહિ.

29કેમ કે કેટલાકે એમ ધાર્યું કે, યહૂદાની પાસે થેલી છે તેથી ઈસુએ તેને કહ્યું કે, પર્વને માટે આપણને જેની અગત્ય છે તે ખરીદવાને અથવા ગરીબોને કંઈ આપવાનું કહ્યું.

30ત્યારે કોળિયો લઈને તે તરત બહાર ગયો; અને તે સમયે રાત હતી.

31જયારે તે બહાર ગયો, ત્યારે ઈસુ કહે છે કે, 'હવે માણસનો દીકરો મહિમાવાન થયો છે, તેનામાં ઈશ્વર મહિમાવાન થયા છે.

32ઈશ્વર તેને પોતામાં મહિમાવાન કરશે અને તેને વહેલો મહિમાવાન કરશે.

33ઓ નાનાં બાળકો, હવે પછી થોડા સમય સુધી હું તમારી સાથે છું; તમે મને શોધશો.' જેમ મેં યહૂદીઓને કહ્યું હતું કે, 'જ્યાં હું જાઉં છું ત્યાં તમે આવી શકતા નથી, તેમ હું હમણાં તમને પણ કહું છું.

34'હું તમને નવી આજ્ઞા આપું છું, કે તમે એકબીજા પર પ્રેમ રાખો,

35જો એકબીજા પર તમે પ્રેમ રાખો તો તેથી સર્વ માણસો જાણશે કે તમે મારા શિષ્યો છો.

36સિમોન પિતર તેમને કહે છે કે, 'પ્રભુ, તમેં ક્યાં જાઓ છો? ઈસુએ કહ્યું, 'જ્યાં હું જાઉં છું, ત્યાં તું હમણાં મારી પાછળ આવી શકતો નથી; પણ પછી મારી પાછળ આવીશ.

37પિતર તેમને કહે છે કે, 'પ્રભુ, હું હમણાં જ તમારી પાછળ કેમ આવી શકતો નથી? તમારે માટે હું મારો જીવ પણ આપીશ.

38ઈસુ કહે છે કે, 'શું તું મારે માટે તારો જીવ આપશે?' હું તને નિશ્ચે કહું છું કે, "મરઘો બોલ્યા અગાઉ તું ત્રણ વાર મારો નકાર કરશે.'

© 2017 Bridge Communications Systems. Released under the Creative Commons Attribution Share-Alike license 4.0.
div>